રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે તા.૨૭/૦૬/૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતેથી ગુજરાતના ૧૪ મુખ્ય શહેરોમાં ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં ભવ્ય શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સહકારી મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક પહેલ રાજ્ય સરકારના આ અભિગમને આવકાતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તા.૨૯/૦૬/૨૦૨૬ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરતી સહકારી ધોરણે દેશની પ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં સત્તાવાર પ્રારંભ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલના આધારે શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ વિશ્વની સૌથી મોટી અને ચાલકોની માલિકી ધરાવતી સહકારી મોબિલિટી સંસ્થા તરીકે વિકસી રહી છે. આ પહેલ દ્વારા ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા તથા ફોર-વ્હીલર ચલાવતા લાખો વાહનચાલકોને ખાનગી એપ આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે તેમજ તેઓ માત્ર ડ્રાઇવર નહીં પરંતુ ‘સારથિ’ અને ‘માલિક’ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરશે. વર્ષો સુધી ટેક્સી ચાલકો માત્ર સેવા આપતા રહ્યા હતા, પરંતુ કંપનીઓના નફામાં તેમનો કોઈ હિસ્સો ન હતો. આ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના હેતુથી શરૂ થયેલી ભારત ટેક્સી હવે આત્મનિર્ભરતા, આત્મસન્માન અને સહકારનું નવું પ્રતીક બની છે. ફેબ્રુઆરી–૨૦૨૬માં શરૂ થયેલી ભારત ટેક્સી સાથે અત્યાર સુધીમાં દેશભરમાં અંદાજે ૭ લાખ સારથિઓ અને ૩૭ લાખથી વધુ ગ્રાહકો જોડાયા છે. ગુજરાતમાં જ ૧.૫ લાખથી વધુ સારથિઓ અને ૬ લાખથી વધુ ગ્રાહકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, અદાણી એરપોર્ટ, અમદાવાદ પશ્ચિમ રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સુરત, રાજકોટ અને વડોદરા), અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર–BRTS તથા ગુજરાત ટ્રાફિક પોલીસ સાથે વિવિધ સમજૂતી કરારો (MoU) પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ‘ભારત ટેક્સી’ને માત્ર પરિવહન સેવા નહીં પરંતુ સહકાર આધારિત જનઆંદોલન તરીકે આગળ વધારવા સૌને જોડાવાનું આહ્વાન કર્યું હતું. તા. ૨૭-૦૬-૨૦૨૬થી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર સહિત ગુજરાતના ૧૪ મુખ્ય શહેરોમાં ભારત ટેક્સીની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી એક માસમાં સમગ્ર ગુજરાતમાં આ સેવા વિસ્તરશે. રાજ્ય સરકારશ્રીના આ જનહિતલક્ષી અભિગમને આવકારતાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુકલ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણીયા તથા શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાએ રાજકોટમાં શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ સેવાનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તેવી અપીલ કરી હતી. (જન સંપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા