શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણીના ભાગ રૂપે ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં PMSVANidhi યોજના 2.O અંતર્ગત ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના સહયોગથી ખોરાકની સલામતી અને સ્વચ્છતા અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે અલગ-અલગ બે સ્થળો – પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયારોડ, રાજકોટ ખાતે તેમજ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ, રાજકોટ ખાતે ફૂડ વેન્ડર્સ માટે “સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ. બંને સ્થળ ખાતે કુલ-૧૭૮૯ ફૂડ વેન્ડર્સ તાલીમમાં જોડાયા હતા અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના પ્રતિનિધિ દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને તાલીમ આપવામાં આવી હતી.
પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ તાલીમ કાર્યક્રમ
પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. પુષ્પ અને ખાદીના રૂમાલ વડે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સિટી એન્જી.શ્રી કુંતેશ મહેતા દ્વારા કરવામાં આવેલ.
પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા, કોર્પોરેટરશ્રી દુર્ગાબા જાડેજા, શ્રી દક્ષાબેન વસાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સમીર ધડુક, સહાયક મ્યુનિસિપલ કમિશનરશ્રી દિપેન ડોડીયા, સિટી એન્જી.શ્રી કુંતેશ મહેતા, મેનેજર શ્રી મયુર ખીમસુરીયા તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારશ્રીના MoHUA દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ખોરાકની સલામતી અને સ્વચ્છતા અંગે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લોકોને સારું, સ્વચ્છ અને હેલ્થી ફૂડ સપ્લાય કરતા વેન્ડર્સ જો કાળજી રાખશે તો લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રત્યેક નાગરિકને પગભેર કરવાના ઉમદા આશય સાથે પી.એમ.સ્વનીધિ યોજના અમલમાં મૂકી છે. જેમાં રૂપિયા ૧૦,૦૦૦ થી લઈને રૂપિયા ૫૦,૦૦૦ સુધીની લોન સહાયમાં આપવામાં આવે છે. નાના અને માધ્યમ વર્ગના લોકો રોજગારી મેળવી પોતાનું ઘર-ગુજરાન ચલાવી આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૬૫૬૭ શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારના સભ્યો સહીત કુલ-૮૧૧૭૮ લાભાર્થીઓના પ્રોફાઈલીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ તાલીમ કાર્યક્રમ બદલ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું.
શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ તાલીમ કાર્યક્રમ
શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત માધ્યમિક અને આનુસંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરીયા દ્વારા કરવામાં આવેલ. પુષ્પ અને ખાદીના રૂમાલ વડે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઈ લુણાગરિયા દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્ટ્રીટ વેન્ડર્સની આભાર વિધિ શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઈ લુણાગરિયાએ કરેલ.
શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી શ્રી ઇલાબેન પડિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઈ લુણાગરિયા, માધ્યમિક અને આનુસંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરીયા, કોર્પોરેટરશ્રીઓ શ્રી કંકુબેન ઉધરેજા, શ્રી અલ્પાબેન દવે, શ્રી મંજુબેન કુગશિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મહેશ જાની, સહાયક મ્યુનિસિપલ કમિશનરશ્રી એચ.પી. રૂપારેલીઆ, ઇ.ચા. સહાયક મ્યુનિસિપલ કમિશનરશ્રી વિપુલ ઘોણીયા, સિટી એન્જી.શ્રી એમ.આર.શ્રીવાસ્તવ, મેનેજર શ્રી કાશ્મીરા વાઢેર, શ્રી વત્સલ પટેલ, બ્રહ્માકુમારી સંસ્થાના શ્રી બી. કે. રેખાદીદી તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમનું સપનું હતું કે છેવાડો માનવી પણ પગભેર રહે. કોરોનાકાળમાં ધંધો-રોજગાર પડી ભાંગ્યો હતો ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ નેઈમ લીધી કે કોઈ પણ જાતની જાત-જામીન વગર નાના અને માધ્યમ વર્ગના નાગરિકોને બેંકો મારફત લોન મળે અને એ લોનના પૈસાથી નાનો-મોટો ધંધો કરી રોજગારી મેળવે. અત્યારે આપણે સૌ જાણીએ છીકે કે બેંકોમાં જાત-જામીન વગર લોન નથી મળતી ત્યારે આપણા બધા માટે ખુદ સરકાર જામીન રહીને પી.એમ. સ્વનીધિ યોજના હેઠળ લોન આપે છે. આ યોજનામાં રૂ.૧૦,૦૦૦ થી લઈને ૫૦,૦૦૦ સુધીની સહાય મળવા પાત્ર છે. પહેલા ૧૦,૦૦૦ અને પછી તમે નિયમિત લોન ભરપાઈ કરતા જાવ તો ૫૦,૦૦૦ કે બે લાખ સુધીની લોન મેળવી શકો છે. આપણા ધંધા રોજગારની સાથે એક પગલું સ્વચ્છતા તરફ પણ કરીએ. આપણે સ્વચ્છતા રાખીશું તો આપણું રાજકોટ સ્વચ્છ બનશે. આપણે આપણી ટેવ સુધારીએ, જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, ભીનો-સુકો કચરો અલગ-અલગ રાખીએ. આપણે જ આપણી ટેવ સુધારીશું તો આપણું રંગીલું રાજકોટ સ્વચ્છ અને સ્વસ્થ રહેશે.
આ અવસરે ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પી.એમ. સ્વનીધિ યોજના અમલમાં મૂકી. આ યોજના નાના-માધ્યમ વર્ગના લોકોની યોજના છે. આ યોજનાનો વિચાર એવા વ્યક્તિને આવ્યો કે જેમનું જીવન સંઘર્ષના વીત્યું છે. દેશનો દરેક નાગરિક આત્મનિર્ભર બને, નાનો-મોટો ધંધો કરી દરેક નાગરિક પગભેર થાય તેવા આશય સાથે નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના ઘડી છે. લોકોને ધંધો કરવો હોઈ છે પણ પૈસા નથી હોતા, તેવા લોકો માટે ખુદ સરકાર જામીન પર રહીને બેંકો મારફત લોન આપે છે. કોઈપણ ધંધો કરવા માટે પૈસાની જરૂર પડે છે પહેલા પૈસા લેવા માટે વ્યાજના દંગલમાં માણસો ફસાઈ જતા, પણ આપણા યશસ્વી વડાપ્રધાને આવા લોકો માટે વિચાર કર્યો. બેંકો મારફત રૂ.૧૦,૦૦૦ થી શરૂઆત કરીને તમે જેવો ધંધો કરો તેવી લોન મેળવી શકો છે. આ યોજના નાના માણસોને પગભેર કરવાની યોજના છે, નાના માણસોને આત્મનિર્ભર બનવાની યોજના છે. આજે આ યોજનાનો સમગ્ર દેશમાં લાખો લોકોએ લાભ લીધો છે. ગરીબ વર્ગના લોકોના પરિવારમાં આર્થિક વિકાસ થાય ત્યારે જ દેશનો સાચો વિકાસ થયો કહેવાય. આજે આપણે જોઈએ દેશના લાખો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, આવા પરિવારની આર્થિક સ્થિતિ મજબુત થઇ છે. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું.






